ધુરંધર ત્રિપુટી સાથે આકસ્મિક મુલાકાત


નમસ્કાર દોસ્તો, અકસ્માત સુખદ હોઇ શકે અને એવા અકસ્માત પ્રસંગે તમારી પાસે કેમેરા હોઇ શકે આજે આ સવાલ હાસ્યાસ્પદ લાગે કારણ કે દરેકની પાસે મોબાઇલ ફોન વીથ કેમેરા હોય.
પરંતુ આ વાત લગભગ 40 વરસ પહેલાંની છે. ગુજરાતી સાહિત્યની એક નહીં ત્રણ ત્રણ હસ્તી હાજર હતી અને મારી પાસે સાવ ડબલા જેવો એક કેમેરા હતો. ત્રણેને જુદી જુદી વિનંતી કરીને ક્લીક કર્યો એક ફોટોગ્રાફ. ત્રણમાંની બે હસ્તી મુંબઇના સાંધ્યદૈનિક જન્મભૂમિ સાથે સંકળાયેલી હતી. હું ત્યારે ટ્રેની પત્રકાર હતો. માણો ફોટોગ્રાફ હવે.
જન્મભૂમિની કલમ કિતાબ કટારના સંપાદક કૃષ્ણવીર દીક્ષીત, કુમાર સાપ્તાહિકના તંત્રી બચુભાઇ રાવત અને ખુદ ગાંધીજી જેમનાં કાવ્યોના ચાહક હતા એવા એક અે અજોડ વેણીભાઇ પુરોહિત. સદ્ભાગ્યે મને જન્મભૂમિ કાર્યાલયમાં વેણીભાઇની અડોઅડ એક ટેબલ પર બેસીને દસેક વર્ષ કામ કરવાની તક મળેલી. મારી ડાબી બાજુના ટેબલ પર વેણીભાઇ બેસતા. એમની બાજુમાં અન્ય એક લેજન્ડ કાર્ટુનિસ્ટ દેવ ગઢવી બેસતા.
વેણીભાઇની સાપ્તાહિક કટારનાં કાર્ટુનો ગઢવીજી બનાવતા. ક્યારેક ગઢવી ગજબ કમાલ દાખવતા. એવો એક પ્રસંગ ખરેખર યાદગાર છે. એકવાર જન્મભૂમિની પ્રજાસત્તાક પૂર્તિમાં દેવ ગઢવીએ તંત્રી સાથે વાત કરીને જુદા જુદા કવિઓના કેરીકેચર બનાવ્યાં અને એ કેરીકેચરના કેપ્શન તરીકે કવિની કાવ્યપંક્તિ મૂકેલી.

હવે વાંચજો ધ્યાનથી. વેણીભાઇનું કેરીકેચર એેવું હતું કે એ આયનામાં પોતાનો ચહેરો જોતાં જોતાં માથા પર રહેલા બે ચાર વાળની લટ હાથમાં લઇને કંઇક વિચારે છે. નીચે કેપ્શનમાં એમની એક પંક્તિ હતી તમારા વિનાના અમે અમારા વિનાના.... ક્યા બાત હૈ... વેણીભાઇ એ જોઇને એટલા ખુશ થયેલા કે તરત ગઢવીજીને રોકડ ઇનામ આપેલું.

એક અકસ્માતે ભેગા થયેલા ત્રણ ધુરંધર, બીજા અકસ્માતે અજિત પોપટ પાસે ડબ્બા કેમેરા અને ત્રીજા અકસ્માતે હાથ ચડેલી આ દુર્લભ તસવીર. એને સીધી કરીને જોવાની જાણકારોને વિંનંતી. ધીમે ધીમે આ ટેક્નોલોજી હું શીખી લઇશ. ત્યાં સુધી ચલાવી લેજો.

Comments